વિસાવદર: કોંગ્રેસની સભામાં કાંકરી ચાળાથી રાજકારણ ગરમાયું, કોંગ્રેસ ઉમેદવાર ઈજા ગ્રસ્તોને મળ્યા
Published on: 15th June, 2025
વિસાવદર પેટા ચૂંટણીનું 19 જૂનના મતદાન યોજાનાર છે. ચૂંટણી નજીક આવતા ત્રણેય રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મતદારો સુધી પહોંચવા દરેક રાજકીય પક્ષો જોર લગાવી રહ્યા છે. તેવામાં શનિવારના રાત્રે કોંગ્રેસની સભામાં કાંકરીચાળો થયો હતો. પિયાવા ગામે ચાલુ સભામાં કાંકરીચાળો થતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ ઉમેદવાર હુમલાના ઈજાગ્રસ્તોને મળ્યા હતા. ઈજાગ્રસ્તોને તમામ પ્રકારની મદદ કરવાની નીતિન રાણપરિયાની ખાતરી આપી હતી.વિસાવદરના પિયાવા ગામે પથ્થરમારાની ઘટના
કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, સભા દરમિયાન કેટલાક તત્વોએ ચર્ચામાં ખલેલ પહોંચાડવા પથ્થરમાર કર્યો હતો. પિયાવા ગામમાં કોળી-ઠાકોર સમાજના મતદારોને સંબોધવા કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયા સહિતના આગેવાનો ઉમટ્યા હતા. સભા ચાલી રહી હતી ત્યારે અચાનક કેટલાક અજાણ્યા શખ્સોએ સભા સ્થળે પથ્થરમાર શરૂ કર્યો હતો. આ હુમલામાં એક મહિલા માથામાં ગંભીર રીતે ઘવાઈ ગઈ હતી. ઘટનાસ્થળે હાજર કાર્યકરો અને સ્થાનિકોએ તાત્કાલિક મહિલાને હોસ્પિટલ ખસેડી હતી.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
મહિલા લોહી લુહાણ હાલતમાં હોવાના દ્રશ્યો વાઈરલ થતાં આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે, કોંગ્રેસના નેતાનો ગંભીર આક્ષેપ છે કે, "પ્રચાર રોકવા માટે રાજકીય ષડયંત્ર છે અને કોળી ઠાકોર સમાજને દબાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે, ભવિષ્યમાં આવી અસામાજિક તત્વો દ્વારા ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ રોકવા તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઈએ.