સરકારે સમગ્ર તંત્ર કામે લગાડ્યું: કાટમાળમાંથી મૃતદેહ મળતા હોવાથી રાહતકાર્ય હજુ બે-ત્રણ દિવસ ચાલશે
Published on: 15th June, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે દિવસ રાત ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનને હજુ બીજા બેથી ત્રણ દિવસ લાગી શકે છે. ગુજરાત સરકારના અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે, વિમાન ઉપરાંત હોસ્ટેલ અને તેની આસપાસના વિસ્તારોમાં આગ લાગી હોવાથી મૃત્યુ પામનારાં લોકોની સંખ્યા ખૂબ વધુ છે. આગને કારણે ઘણાં મૃતદેહો ક્ષતવિક્ષત અવસ્થામાં હોવાથી તે તમામ અવશેષો ભેગા કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત કાટમાળ હટે તેમ-તેમ તેની નીચેથી મૃતદેહો કે માનવઅંગો મળવાની શક્યતા છે, આ સ્થિતિમાં ખૂબ સંવેદનશીલતા સાથે કામ કરવાનું હોવાથી તમામ નમૂનાનું પૃથક્કરણ કરવું જરૂરી છે. સરકારના સૂત્રો જણાવે છે કે, બ્લાસ્ટને કારણે 1000 ડિગ્રી તાપમાન થઇ ગયું તેમાં મૃતદેહ ખૂબ વધુ પ્રમાણમાં સળગી ગયા હોવાથી ઘણાં નમૂનાનું વારંવાર પૃથક્કરણ કરવું પડી રહ્યું છે. જે મૃતદેહ મળી આવે છે તેના ડીએનએની ચકાસણી ઉપરાંત કાટમાળમાંથી સળગેલાં પદાર્થનું પણ જીવ રાસાયણિક પૃથક્કરણ કરવામાં આવી રહ્યું છે, જેથી તે માનવઅંગ છે કે વિમાન અથવા મકાનનો કાટમાળ તે નક્કી કરી શકાય. અત્યાર સુધીમાં શુક્રવારે હોસ્ટેલ અને મેસમાંથી મળી આવેલા 8 મૃતદેહો ડીએનએ ટેસ્ટિંગ કન્ફર્મ કરીને મૃતકના પરિવારજનને સોપાયા છે, જ્યારે શનિવારે મળેલા 11ની ઓળખ બાદ મૃતદેહ સોપવાની વ્યવસ્થા કરાઇ છે.