
બોડીની ઓળખ માટે રાતોરાત દિલ્હીથી મંગાવાયું કેમિકલ: અમદાવાદથી આઇસ બોક્સમાં આવ્યા 250થી વધુ લાશના સેમ્પલ, ટીમ ખડેપગે કરે છે કામ
ગુરૂવારે અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાનો ભોગ બનનારાના મૃતદેહો એ હદે બળી ગયા હતા કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી પણ DNA ટેસ્ટના કારણે લાશની ઓળખ શક્ય બની શકી છે. 250થી વધુ ડેડ બોડીના સેમ્પલ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલાયા હતા. જેનો DNA ટેસ્ટ કરવા માટે કર્મચારીઓએ ખાધા પીધા વગર સતત ખડેપગે રહી પોતાની ફરજ બજાવી હતી. ટેસ્ટ માટે વધુ કેમિકલની જરૂર પડતાં દિલ્હીથી ફ્લાઇટમાં મંગાવવું પડ્યું હતું. શુક્રવારે બપોર સુધીમાં NFSUમાં 140 ડેડ બોડીના સેમ્પલ જ્યારે FSLમાં 339 જેટલા સેમ્પલ આવ્યા હતા. તમામના DNA ટેસ્ટ માટે કર્મચારીઓ આખી રાત સ્ટેન્ડ બાય હતા અને ઇક્વિપમેન્ટ તૈયાર રખાયા હતા. NFSUમાંથી રાત્રે જ કેમિકલનો ઓર્ડર આપી દીધો હતો અને દિલ્હીથી શુક્રવારે સવારે જે ફ્લાઇટ આવી હતી તેમાં કેમિકલ મંગાવી લીધું હતું. 25થી 30 ફોરેન્સિક સાયન્ટિસ (પ્રોફેસર )આના પર કામ કરી રહ્યાં છે. જ્યારે FSLમાં 36 નિષ્ણાતો સતત 24 કલાક DNA ટેસ્ટ કરી રહ્યા છે.
બોડીની ઓળખ માટે રાતોરાત દિલ્હીથી મંગાવાયું કેમિકલ: અમદાવાદથી આઇસ બોક્સમાં આવ્યા 250થી વધુ લાશના સેમ્પલ, ટીમ ખડેપગે કરે છે કામ
