
પ્લેનમાંથી 70 ટકા મૃતદેહ સીટ પર જ હતા: ક્રેશની ઘટનામાં કેવી રીતે કામ કરવું તેની 7 દિવસ પહેલાં ફાયરબ્રિગેડે ટ્રેનિંગ લીધી હતી
પ્લેન ક્રેશની ઘટનામાં 70 ટકા મુસાફરના મૃતદેહ સીટ પરથી જ મળી આવ્યા હતા. આંચકા અને આગને કારણે કોઇ મૃતદેહ આખો મળ્યો નથી. 30 ટકા મુસાફર દરવાજા સુધી પહોંચ્યા હતા, પરંતુ તેમના મૃતદેહ એક્ઝિટ પોઇન્ટ પરથી મળ્યા. આગની ઘટનામાં હોસ્ટેલનો 300 મીટરનો વિસ્તારમાં આગની જ્વાળા ફેલાઈ હતી અને 900 મીટર વિસ્તારમાં પ્લેનનાં ફુરચાં ઊડ્યાં હતાં. જોકે પ્લેન ક્રેશની ઘટનામાં કેવી રીતે બચાવ કામગીરી કરવી તેની ફાયરબ્રિગેડે પાંચ જૂને જ તાલીમ લીધી હોવાથી તેઓ પ્લેનના અલગ અલગ ભાગને સમજી શક્યા હતા. ફાયરબ્રિગેડના અધિકારી ઓમ જાડેજાએ જણાવ્યું કે, પ્લેન ક્રેશની ઘટના બનતા જ મને એરપોર્ટ ઓથોરિટીનો ફોન આવ્યો. બીજી તરફ હું મારા ફાયર જવાનો સાથે તત્કાલ પહોંચી ગયો. અમારા પહેલાં જ એરપોર્ટની ફાયરબ્રિગેડ પહોંચી ચૂકી હતી. તેમની સાથે અમે જોડાઇ ગયા. થોડી વારમાં અમારા 140-145 જેટલા ફાયરબ્રિગેડ અધિકારી-કર્મચારી સ્થળ પર પહોંચ્યા. અમારી પ્રાથમિકતા આગને બુઝાવી શક્ય તેટલા મહત્તમ નાગરિકોને બચાવવાની હતી. ફાયરબ્રિગેડને છેલ્લા કેટલાક સમયમાં ત્રણ વખત આપદામાં કેવી રીતે કામ કરવું તેની તાલીમ મળી હતી. આ તાલીમને કારણે જ અમે પ્લેનના કયા ભાગમાં મુસાફરો હોય, ક્યાં લગેજ હોય તેની સીધી સમજ મળી રહી હતી. તીવ્ર જલદ પ્રવાહીના ધુમાડાને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હતી.
પ્લેનમાંથી 70 ટકા મૃતદેહ સીટ પર જ હતા: ક્રેશની ઘટનામાં કેવી રીતે કામ કરવું તેની 7 દિવસ પહેલાં ફાયરબ્રિગેડે ટ્રેનિંગ લીધી હતી
