
વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અડતાળાના યુવકનો મૃતદેહ વતન પહોંચ્યો:વેવિશાળ બાદ લંડન જતાં 27 વર્ષીય હાર્દિકનું નિધન, પિતાએ જમીન વેચીને મોકલ્યા હતા વિદેશ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અડતાળા ગામના 27 વર્ષીય હાર્દિકભાઈ અવૈયાનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. તેમનો મૃતદેહ આજે સવારે વતન અડતાળા ગામે લાવવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. હાર્દિકભાઈ છેલ્લા ત્રણ વર્ષથી લંડનમાં અભ્યાસ અને નોકરી કરતા હતા. તેમના પિતા દેવરાજભાઈએ પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની જમીન વેચીને તેમને લંડન મોકલ્યા હતા. દેવરાજભાઈને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. હાર્દિકભાઈ સૌથી નાના સંતાન હતા. તાજેતરમાં જ હાર્દિકભાઈનું કામરેજ તાલુકાના વિભૂતિબેન પટેલ સાથે વેવિશાળ થયું હતું. આ પ્રસંગે તેઓ વતન આવ્યા હતા. પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ વિમાન દુર્ઘટનાએ આ ખુશી માતમમાં ફેરવી નાખી. આજે સવારે હાર્દિકભાઈની અંતિમયાત્રા નીકળી ત્યારે આખું અડતાળા ગામ શોકમગ્ન બન્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો અને સગા-સંબંધીઓએ અંતિમ વિદાય આપી હતી. ગઢડા મામલતદાર, પોલીસ ટીમ અને મેડિકલ ટીમ પણ હાજર રહી હતી. હાર્દિકભાઈ મહેનતુ અને આશાસ્પદ યુવાન હતા. તેમના અકાળે અવસાનથી અવૈયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સમગ્ર અડતાળા ગામ આ દુઃખની ઘડીમાં પરિવારની સાથે છે.
વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અડતાળાના યુવકનો મૃતદેહ વતન પહોંચ્યો:વેવિશાળ બાદ લંડન જતાં 27 વર્ષીય હાર્દિકનું નિધન, પિતાએ જમીન વેચીને મોકલ્યા હતા વિદેશ
