જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી
જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી
Published on: 24th June, 2026

જામનગરમાં એક એરફોર્સ કર્મચારીને સોલાર પ્લાન્ટ અને જેસીબી-લોડરનાં ધંધામાં નફાની લાલચ આપી કરોડોની નજીકની રકમ રોકાણ કરાવી ૮૧.૭૧ લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાની ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જામનગર એરફોર્સના કર્મચારી ધનંજય ચંદ્રીકા પ્રસાદ મિશ્રા છેલ્લા પાંચ વર્ષથી જામનગરમાં ફરજ બજાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ આશરે ત્રણ વર્ષ પહેલાં તેમની ઓળખ ધર્મેન્દ્રસિંહ માનભા જાડેજા સાથે થઈ હતી. ધર્મેન્દ્રસિંહે તેમને ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી વાત કરી હતી. ત્યારબાદ પોતાના સાળા અર્જુનભાઈ મારફતે પણ રોકાણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.