Menu
દેશની તકદીર બદલી નાખતા વિમાની અકસ્માતોની ઘટમાળ
દેશની તકદીર બદલી નાખતા વિમાની અકસ્માતોની ઘટમાળ
Published on: 15th June, 2025

પ્લેન કે હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં પ્રવાસ ખેડનારા સેંકડો પેસેન્જર તો મૃત્યુ પામે જ છે, પરંતુ આ યાદીમાં કોઈ મોટા નેતા, ઉદ્યોગપતિ કે અન્ય સેલીબ્રિટી હોય ત્યારે વધુ ચર્ચા થાય છે. ગુરુવાર ૧૨ જુને અમદાવાદ ખાતે એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઈટને જે ગોઝારો અકસ્માત નડયો એ ભારતીય એવિયેશન સર્કલમાં અત્યાર લગીની સૌથી ગોઝારી દુર્ઘટના ગણાશે. આ ફ્લાઈટમાં યાત્રા કરનારા પ્રવાસીઓમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હતા. આ રીતે ભાજપે ગુજરાતમાં એક મહત્ત્વના, આગેવાન નેતાને ગુમાવ્યા છે. દાયકા પૂર્વે પ્રદેશના મુખ્ય મંત્રી વાય. એસ. આર. રાજેશખર રેડ્ડીનું હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ થતાં રાજ્યના રાજકારણમાં ઓચિંતુ પરિવર્તન આવ્યું હતું. નેતાજી સુભાષ ચંદ્ર બોસનું ૧૮મી ઓગસ્ટ ૧૯૪૫ના રોજ વિમાની અકસ્માતમાં થયેલું મૃત્યુ ભારતીયોના મનમાં આજ સુધીનો સૌથી મોટો અને કાયમી પ્રશ્ન છોડી ગયું છે. આજ રીતે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુનું ૩૦ એપ્રિલ ૨૦૧૧માં સેલા પાસ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં મોત નીપજ્યું હતું. ૩૧ માર્ચ ૨૦૦૫માં હરિયાણાનાં પ્રધાન ઓ.પી. જિંદાલ અને પૂર્વ મંત્રી સુરેન્દ્રસિંહ પણ યુ.પી.ના સરહાનપુર વિસ્તારમાં હેલિકોપ્ટરને નડેલા અકસ્માતમાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.