રજૂઆત: રહેણાક વિસ્તાર હોવાથી હાલ કેનાલ બંધ, ઘરવપરાશનું ગંદુ પાણી ખુલ્લી કેનાલમાં નંખાય છે, રોગચાળાની ભીતિ
Published on: 15th June, 2025
વઢવાણ રાજકોટ બાયપાસ રેલવે ફાટકથી પશ્રિમ દિશા બાજુ ન્યૂ ઝીલપાર્ક, શારદા, સંસ્કારધામ, સત્યમપાર્ક ભીમનગર, વિવેકાનંદ તથા બીજી અન્ય સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તારમાં અંદાજે 100થી 150 પરિવાર રહે છે. દરેક સોસાયટીઓમાં જવા માટે રોડની સંમાતર બાજુએથી ધોળીધજા ડેમ સિંચાઇ યોજનાની માઇનોર કેનાલ પસાર થાય છે. આ કેનાલ હાલ રહેણાંક વિસ્તાર થવાથી બંધ છે. જેનો ઉપયોગ હાલમાં ગંદા પાણીના નિકાલ માટે થઇ રહ્યો છે. આ ખુલ્લી કેનાલમાં ખેરાળી રોડથી રતનપર વિસ્તાર અને નજીકના રહેણાંક વિસ્તારમાંથી ઘરે વપરાશનું ગંદુ પાણી (ગ્રે વોટર) નાંખવામાં આવે છે. જેનાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના લીધે સોસાયટીમાં રહેતા લોકોમાં બિમારીનું પ્રમાણ વધ્યુ છે. આ અંગે લેખિતમાં સુનિલભાઈ રાઠોડ, પી.ડી.પરમાર, દિલીપભાઈ, રાઠોડ સંજયભાઈ, બી.વી.વાઘેલા, મકવાણા જય સહિત સોસાયટીઓના રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆતો કરી હતી. જેમાં જણાવ્યું કે, આ ખુલ્લી નહેર પસાર થાય છે. તેને મરામત, સાફસફાઇ કરાવી. તેમાં મોટા પાઈપ નાંખી, પાઇપ ફિટિંગ કરી તેના દ્વારા પાણીનો નિકાલ કરવો અથવા તો બાંધકામ કરી ઉપરના ભાગે કોંકરીટનો સ્લેબ ભરી પેક કરવામાં આવે. આ પ્રકારનું કામ કરવામાં આવે તો અમારા વિસ્તારમાં બિમારીનું પ્રમાણ ઓછું થશે. આથી માગણીને ધ્યાને લઈ આગળની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.