સુરતમાં મુસ્લિમ યુવતીના હિન્દુ યુવક સાથે હિન્દુ વિધિથી લગ્ન થશે:એક જ કંપનીમાં કામ કરતા સંપર્કમાં આવ્યા બાદ પરિવારની સંમતિથી પ્રભુતામાં પગલાં પાડશે
કહેવાય છે કે પ્રેમની કોઈ સીમા કે ધર્મ હોતો નથી. આ વાત સુરતમાં સાચી સાબિત થઈ છે. શહેરના 'યશવી ફાઉન્ડેશન' દ્વારા આયોજિત આગામી સમૂહલગ્નમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે કોમી એકતા અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ સમૂહ લગ્નમાં એક પિતા વિહોણી મુસ્લિમ યુવતી હિન્દુ યુવક સાથે હિન્દુ ધર્મની શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્નગ્રંથિથી જોડાશે. એક જ કંપનીમાં કામ કરતા સંપર્કમાં આવ્યા બાળપણમાં પિતા ગુમાવનાર ફરહા વડગામા (મુસ્લિમ યુવતીના જે હિન્દુ યુવક સાથે હિન્દુ વિધિથી લગ્ન કરવા જઈ રહી છે) પાલનપુર જકાતનાકા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. તેને માતાએ જ ઘર કામ કરીને મોટી કરી છે. ફરહા પરિવારની એકની એક દીકરી છે. એ ખાનગી કંપનીમાં છેલ્લા સાત વર્ષથી કામ કરી રહી છે. દરમિયાન તે ભાઠા ગામ ખાતે રહેતા મોહિતના સંપર્કમાં આવી હતી. સાત વર્ષની મૈત્રી હવે પરિણયમાં બદલાશે મુસ્લિમ યુવતી ફરહા વડગામા અને હિન્દુ યુવક મોહિત છેલ્લા સાત વર્ષથી એકબીજાને જાણે છે. બંને એક જ જગ્યાએ નોકરી કરતા હતા અને ત્યાંથી જ તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. ફરહાના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે, પરંતુ તેની માતાએ દીકરીની ખુશી માટે આ સંબંધને મંજૂરી આપી છે. બંનેના પરિવારજનોએ સંમતિ આપી ફરહાએ જણાવ્યું હતું કે, અમે બંને એકસાથે નોકરી કરતા હતા. ત્યારપછી અમને પ્રેમ થયો અને પછી અમે અમારા ઘરે વાત કરી હતી. હવે અમારા લગ્ન થવા જઈ રહ્યા છે, તો આ અમારા બંને માટે ખૂબ જ ખુશીની વાત છે. અમે પરિવારજનોને મનાવ્યા હતા.અમે બંનેએ અમારા દિલની વાત કરી હતી કે અમે લગ્ન કરવા માંગીએ છીએ. પછી બંને પરિવારજનોએ અંદરોઅંદર વાત કરી અને તેઓ માની ગયા. સામાજિક ડર પણ લાગતો નથી- ફરહા અમે 7 વર્ષ સુધી સાથે નોકરી કરી છે. પહેલા તો ઘરમાં જણાવવામાં ડર લાગતો હતો કે અમારો ધર્મ અલગ છે એટલે મુશ્કેલી થશે, પણ પછી મેં મારી મમ્મી સાથે વાત કરી અને તે માની ગઈ. સમાજનો પણ કોઈ ડર નથી. બધું બરાબર છે. અમે આ બધું પરિવારની સહમતિથી કરી રહ્યા છીએ. મારા માટે બધું જ મારી મમ્મી છે. જો તે માની ગયા હોય, તો પછી મને કોઈની ચિંતા નથી. દીકરીની પસંદ હોવાથી માતાએ સંમતિ આપી ફરહાની માતા અલ્લા રખીએ જણાવ્યું હતું કે, પહેલા તો ઘણા વર્ષો સુધી ના પાડી હતી, અમારા બંને વચ્ચે ઘણો ઝઘડો પણ થયો હતો. પણ પછી તેની ખુશી માટે હું માની ગઈ. દીકરીની પસંદ છે, એટલે હવે મને પણ પસંદ જ છે. ધર્મને કારણે જ થોડી મુશ્કેલીઓ આવી હતી: યુવક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા જઈ રહેલા મોહિતે જણાવ્યું હતું કે, પહેલા તો થોડી મુશ્કેલીઓ આવી હતી, પણ પછી બધા માની ગયા. ધર્મને કારણે જ થોડી મુશ્કેલીઓ આવી હતી, પણ 7-8 વર્ષથી અમે સાથે હતા એટલે ધીરે-ધીરે બધા માની ગયા. હિન્દુ વિધિથી લગ્ન થશે આ કિસ્સાની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, ફરહા સ્વેચ્છાએ મોહિત સાથે હિન્દુ વિધિથી લગ્ન કરવા તૈયાર થઈ છે. યશવી ફાઉન્ડેશન દ્વારા જે પિતા વિહોણી દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, તેમાં આ બંને પણ જોડાશે. આ અંગે ફરહાની માતાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં ધર્મ અલગ હોવાથી થોડો વિરોધ હતો, પણ દીકરીની ખુશી અને મોહિતના સારા સ્વભાવને જોઈને અમે હા પાડી છે. અમને કોઈ સામાજિક ડર નથી, માત્ર દીકરીનું સુખ જોઈએ છે. યશવી ફાઉન્ડેશનનું સરાહનીય પગલું યશવી ફાઉન્ડેશનના આયોજકો દ્વારા આ આંતરધર્મીય લગ્નને આવકારવામાં આવ્યું છે. ફાઉન્ડેશન વર્ષોથી પિતા વિનાની દીકરીઓના લગ્ન કરાવી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવે છે. આ વખતે ફરહા અને મોહિતના લગ્ન આકર્ષણનું કેન્દ્ર બનશે, જે દર્શાવે છે કે માનવતા અને પ્રેમ કોઈપણ ધાર્મિક વાડાઓથી ઉપર છે. સતત ત્રીજા વર્ષે સમૂહ લગ્નનું આયોજન સમાજમાં સકારાત્મકતાનું વાતાવરણ ઉભું કરવા વિવિધ સેવાયજ્ઞો થકી યશવી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે. જેના ભાગરૂપે સતત બે વર્ષથી યશવી ફાઉન્ડેશન પિતાવિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરતું આવ્યું છે. અને આ વર્ષે પણ આ જ સત્કાર્યને આગળ ધપાવતા તારીખ 14 માર્ચ, 2026 ના રોજ તૃતીય સર્વજ્ઞાતિ સમૂહલગ્ન માટે યશવી પરિવાર ખુબ જ ઉત્સાહિત છે. સેવાના આ યજ્ઞની શરૂઆત 2024 થી થઈ હતી જ્યાં પ્રથમ વર્ષે 21 અને 2025માં બીજા વર્ષે 51 દીકરીઓના લગ્ન કરાવ્યા બાદ, આ વર્ષે 2026 માં ત્રીજા વર્ષે 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. 14 માર્ચે સમૂહલગ્ન યોજાશે જ્યારે ઘરની દીકરી ઉંબરો ઓળંગીને નવા જીવનની શરૂઆત કરવા જતી હોય, ત્યારે પરિવારમાં જે ઉમંગ અને લાગણી હોય છે, તેવી જ લાગણી યશવી પરિવારને આ દીકરીઓ માટે છે. દીકરીઓના પાનેતર અને મહેંદી પ્રસંગથી માંડીને કરિયાવર સહિતની લગ્નપ્રસંગની તમામ વિધિઓ સંપૂર્ણ જવાબદારી સાથે સંપન્ન કરવી એ અમારો ઉદ્દેશ્ય છે. આ વર્ષે સમૂહ લગ્નના વિવિધ પ્રસંગો માં પાનેતર વિધિ 25 ફેબ્રુઆરીએ, મહેંદી પ્રસંગ 11 માર્ચે યોજાશે. જ્યારે તૃતીય સમૂહ લગ્નની તારીખ 14 માર્ચ, 2026 ના રોજ રાખવામાં આવ્યા છે.