ધોરાજીના યુવા ડોક્ટરનો ચમત્કારિક બચાવ : બી.જે. મેડિકલ કોલેજની મેસમાં જમવા જતા હતા એના ગણતરીના પળો પહેલા જ હોસ્ટેલ પર વિમાન પડ્યું હતું
Published on: 15th June, 2025
અમદાવાદથી લંડન જવા માટે ઉડાન ભરેલું એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફની ગણતરીની મિનિટોમાં જ શહેરના બી. જે. મેડિકલ કોલેજ સંકુલમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર એક યાત્રીને બાદ કરતાં તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. વિમાન હોસ્ટેલની મેસ બિલ્ડીંગ પર પડતાં ત્યાં હાજર અનેક મેડિકલ વિદ્યાર્થીઓ અને સ્ટાફ પણ તેનો ભોગ બન્યા હતા. જોકે, આ ગોઝારી ઘટના વચ્ચે ધોરાજીના એક યુવા ડોક્ટરનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. વિમાન ધડાકાભેર મેસની બિલ્ડીંગ પર તૂટી પડ્યું હતું
ધોરાજીના પ્રતિષ્ઠિત ડોક્ટર જીતેન્દ્ર ગોવાણીના પુત્ર ડો. દેવ ગોવાણી અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશિપ કરી રહ્યા છે. નિત્યક્રમ મુજબ, દેવ તેમના સાથી ડોક્ટરો સાથે હોસ્ટેલની મેસમાં બપોરનું ભોજન લેતા હતા, પરંતુ દુર્ઘટનાના દિવસે, હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ અને પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠાને કારણે તેમને વોર્ડમાંથી નીકળવામાં મોડું થઈ ગયું. દેવ જ્યારે મેસ તરફ જવા નીકળ્યા, તેના ગણતરીના પળો પહેલા જ એર ઇન્ડિયાનું વિમાન ધડાકાભેર મેસની બિલ્ડીંગ પર તૂટી પડ્યું હતું. આખો વિસ્તાર ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. ચારેકોર અફરાતફરી અને ચીસોનો માહોલ સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા લોકોની દર્દનાક ચીસો સંભળાતી હતી
જ્યારે ડો. દેવ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યાં ક્ષણવાર પહેલા તેમના મિત્રો અને સહકર્મીઓ ભોજન કરી રહ્યા હતા, ત્યાં હવે કાટમાળનો ઢગલો અને અગનજ્વાળાઓ હતી. આસપાસ બળી ગયેલા મૃતદેહો અને ગંભીર રીતે ઘવાયેલા લોકોની દર્દનાક ચીસો સંભળાતી હતી. આઘાતમાંથી બહાર આવીને ડો. દેવ ગોવાણીએ સૌ પ્રથમ પોતાના પરિવારને ફોન કરીને પોતાની સલામતીના સમાચાર આપ્યા. ત્યારબાદ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેઓ પોતાની ફરજ પર લાગી ગયા. ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો સાથે જોડાઈને તેમણે ઘાયલોને પ્રાથમિક સારવાર આપવાનું અને તેમને હોસ્પિટલ પહોંચાડવાનું શરૂ કર્યું. દુર્ઘટનામાં પોતાના મિત્રો અને સહકર્મીઓને ગુમાવવાનું દુઃખ
એક ડોક્ટર તરીકેની પોતાની નૈતિક જવાબદારી નિભાવતા, તેમણે અનેક લોકોના જીવ બચાવવામાં મદદ કરી. પરિસ્થિતિ થોડી કાબૂમાં આવ્યા બાદ, ડો. દેવ પોતાના વતન ધોરાજી પરત ફર્યા હતા. તેમણે પોતાના પરિવારજનોને આખી ઘટનાની હૃદયદ્રાવક વિગતો જણાવી, ત્યારે સૌએ ભગવાનનો આભાર માન્યો હતો. જોકે, આ ભયાનક દુર્ઘટનામાં પોતાના મિત્રો અને સહકર્મીઓને ગુમાવવાનું દુઃખ ડો. દેવ અને તેમના પરિવાર માટે અસહ્ય હતું. ગોવાણી પરિવારે આ દુર્ઘટનાના તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.