મોરબીની પીપળીયા ચોકડી નજીક ગૌરક્ષકોની મહત્વપૂર્ણ કામગીરી:શાકભાજીના કેરેટની આડમાં કતલખાને લઈ જવાતા 10 પાડાનો બચાવ
Published on: 15th June, 2025
મોરબીની પીપળીયા ચોકડી નજીક ગૌરક્ષકોએ મહત્વપૂર્ણ કામગીરી કરી છે. બાતમીના આધારે એક બોલેરો ગાડીને અટકાવી તપાસ કરતા શાકભાજીના કેરેટની નીચેથી 10 પાડા મળી આવ્યા હતા. આ પાડાઓને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. વાહનમાંથી મળી આવેલા બે આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ પાડાઓને કચ્છના કનૈયાબે ગામથી જામનગર કતલ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ ઈશાક મામદઅલી જત (24) અને અલ્તાફ નિઝામભાઈ જત (20) તરીકે થઈ છે. બંને આરોપીઓ કચ્છના નાના સરાડા ગામના રહેવાસી છે. ગૌરક્ષક કમલેશભાઈ બોરીચાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પશુ અતિક્રમણ ધારા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ કમલેશભાઇ બોરીચા, બજરંગ દળના પદાધિકારીઓ અને લીમડી, ચોટીલા, ધાંગધ્રા, વિરમગામ, કચ્છ અને રાજકોટના ગૌરક્ષકોની ટીમનો સહયોગ મળ્યો હતો. પકડાયેલી બોલેરો ગાડીનો નંબર GJ-12-CT - 6934 છે. આરોપીઓ પાસે પાડાઓને લઈ જવા માટે કોઈ પાસ પરમીટ મળી આવ્યા નથી. તાલુકા પોલીસ મથકના શ્રી પઢિયાર આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.