
વિસાવદર: વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસની સભામાં થયો પથ્થરમારો
વિસાવદર વિધાનસભા માટે આગામી 19 જૂને યોજાનારી પેટા ચૂંટણીને લઈને ત્રિપક્ષીય સ્પર્ધા વચ્ચે રાજકીય ગરમાવો સતત વધતો જઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીઓ દિનરાત પ્રચારપ્રસારમાં લાગી ગઈ છે. અગાઉ વિવિધ ગામોમાં શાંતિપૂર્ણ રીતે સભાઓ યોજાતી રહી હતી, પરંતુ ગત રાત્રે પિયાવા ગામે કોળી-ઠાકોર સમાજ માટે આયોજિત કોંગ્રેસની જાહેર સભા દરમિયાન અચાનક બનેલી પથ્થરમારાની ઘટનાએ રાજકીય તણાવમાં નવા પરિમાણ ઉમેર્યા છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, સભા દરમિયાન કેટલાક તત્વોએ ચર્ચામાં ખલેલ પહોંચાડવા પથ્થરમાર કર્યો હતો. પિયાવા ગામમાં કોળી-ઠાકોર સમાજના મતદારોને સંબોધવા કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયા સહિતના આગેવાનો ઉમટ્યા હતા. સભા ચાલી રહી હતી ત્યારે અચાનક કેટલાક અજાણ્યા શખ્સોએ સભા સ્થળે પથ્થરમાર શરૂ કર્યો હતો. આ હુમલામાં એક મહિલા માથામાં ગંભીર રીતે ઘવાઈ ગઈ હતી. ઘટનાસ્થળે હાજર કાર્યકરો અને સ્થાનિકોએ તાત્કાલિક મહિલાને હોસ્પિટલ ખસેડી હતી.
વિસાવદર: વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસની સભામાં થયો પથ્થરમારો
