વિશ્વ દૂરસંચાર દિન
17th May
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 17 મે ના રોજ વિશ્વ દૂરસંચાર (ટેલિકમ્યુનિકેશન) દિન ની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2005 થી આ દિવસને 'વિશ્વ દૂરસંચાર દિન' તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટ અને નવી તકનિકી દ્વારા સામાજિક પરિવર્તનની વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે; તેમજ મધ્યમ અને નિમ્ન આવક ધરાવતા દેશોને માહિતી અને સંચાર તકનિકી ઉપલબ્ધ કરાવી વિશ્વમાં સાર્વત્રિક કનેક્ટિવિટી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા લોકોને જોડી આધુનિક સમાજનું નિર્માણ કરવાનો છે.

સામ પિત્રોડા ને ભારતમાં સંચાર ક્રાંતિના પિતા માનવામાં આવે છે. તેમણે સી-ડોટ નામની સંસ્થા શરૂ કરી ભારતમાં સંચાર ક્રાંતિનો પાયો નાખ્યો. ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા શરૂ કરાયેલા વર્લ્ડ ટેલના તેઓ પ્રથમ ચેરમેન હતા. આજે ઇન્ટરનેટના માધ્યમથી ટેલિવિઝન પ્રોગ્રામ, સેટેલાઇટ નેવિગેશન અને ઓનલાઇન નકશાઓનો ઉપયોગ આપણે સૌ રોજબરોજના જીવનમાં એક અભિન્ન અંગરૂપે કરીએ છીએ. અત્યારના સમયમાં ઇન્ટરનેટ દૂરસંચાર માટેનું અગત્યનું સાધન છે. ઇન્ટરનેટ મનુષ્ય જીવનની પાયાની જરૂરિયાત બની ગયું છે. આજે દુનિયા વિકાસ સાધવા માટે ટેલિકમ્યુનિકેશન અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી પર આધારિત બની છે.

આજે ઇન્ટરનેટ અને દૂરસંચારનાં વિવિધ માધ્યમો વગરના વિશ્વની કલ્પના પણ શક્ય નથી, ત્યારે તેમાં વિવિધ આયામો અને સુધારાવધારા માટે જાગૃતિ અને સંશોધન પણ એટલાં જ મહત્ત્વનાં પાસાં છે. શિક્ષણ, મનોરંજન, તકનિકી, સામાજિક અને સંસ્થાકીય સંચાલનમાં અત્યંત મહત્ત્વનો ભાગ ભજવતા ઇન્ટરનેટનો દુરુપયોગ પણ વિશ્વના લગભગ તમામ રાષ્ટ્રો માટે ચિંતાનો વિષય છે. સોશિયલ મીડિયાની ચર્ચા કરીએ તો એ વેપાર, વિચાર અને સંચાર માટેનું પ્રમુખ સંસાધન બન્યું છે, જેના પ્રાણવાયુ એવા ઇન્ટરનેટને વધુ ઝડપી અને સર્વવ્યાપી સ્વરૂપે સ્થાપિત કરવાની દિશામાં ખાનગી અને સરકારી સંસ્થાઓના પ્રયાસો પ્રશંસનીય છે.

ઈન્ફર્મેશન ટેક્નોલોજીની દિશામાં ભારત સમગ્ર વિશ્વમાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને પ્રમુખ યોગદાન આપી રહ્યું છે, એ આજે સમગ્ર વિશ્વમાં સ્વીકારાયું છે. આજે વિશ્વના બધા જ દેશોમાં ભારતીય મૂળના આઇટી એન્જિનિયર્સ ડંકો વગાડી રહ્યા છે તેમજ જે તે રાષ્ટ્રના વિકાસમાં અમૂલ્ય યોગદાન પણ આપી રહ્યા છે. ખરા અર્થમાં તેઓ ભારતના અઘોષિત રાજદૂતો છે, જે આપણા ગૌરવમાં સતત વધારો કરી રહ્યા છે.

આજે ગુજરાત સરકારના ડિઝીટલ ગુજરાત પોર્ટલ દ્વારા રાજ્ય સરકારની મોટા ભાગની કામગીરી ઓનલાઇન કરીને સરકારી સેવાઓને ગતિ આપવામાં આવી રહી છે. જેનો સીધો જ લાભ જાહેર જનતાને થાય છે, તેમને ઘરે બેઠા બેઠા સરકારી સુવિધાઓનો લાભ મળી રહે છે. સંચાર માધ્યમોનો સુયોગ્ય ઉપયોગ માનવજીવનને સુવિધાપૂર્ણ બનાવે એ આવકાર્ય છે, પરંતુ આ સંચાર માધ્યમો માનવ પર હાવી થઈ જાય અને તેને નિયંત્રિત કરે તે ઇચ્છનીય નથી. આ માટે આપણે સૌએ સાથે મળી પ્રયત્ન કરવો જ રહ્યો.