વિશ્વ નેત્રદાન (ચક્ષુદાન) દિન
10th June
વિશ્વ નેત્રદાન (ચક્ષુદાન) દિન

નેત્રદાન એટલે આંખોનું દાન. ભારતમાં લાખો લોકો કીકીના અંધાપાથી પીડાય છે. (કીકી એટલે આંખની આગળનું ગોળ પારદર્શક પટલ જેને કોર્નિયા કહેવાય છે.) જો આ પારદર્શક પટલ સફેદ થઈ જાય તો વ્યક્તિને દેખાતું બંધ થઈ જાય. આવામાં જો આપણે મૃત્યુ બાદ નેત્રદાન કરીએ તો કોઈ અંધ વ્યકિતને રોશની મળી જાય. આનાથી સારું માનવીય કાર્ય કયું હોઈ શકે? આ કાર્ય કરવા માટે ચક્ષુબેંક (આઈબેંક) હોય છે જે (આઈબેંક એસોસીએશન ઓફ ઇન્ડિયામાં) રજિસ્ટર્ડ હોય છે. આ ચક્ષુબેંકનો કાર્યભાર સંભાળવા માટે એક કોર્નિયલ સર્જન (કીકીના સુપર સ્પેશ્યાલિસ્ટ) હોય છે. જે કીકીના પ્રત્યારોપણ (કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ - કેરેટોપ્લાસ્ટી)ના ઓપરેશનમાં નિપુણ હોય છે. આમ નેત્રદાનમાં મળેલી બે આંખોની કીકી લઈ કીકીના અંધાપાથી પીડાતા લોકોને જોવામાં મદદ કરી શકાય.

નેત્રદાનથી પ્રાપ્ત થયેલ ચક્ષુઓનો ઉપયોગ કીકીના અંધાપાથી પીડાતા દર્દીઓને કીકી પ્રત્યારોપણ માટે કરવામાં આવે છે. નેત્રદાનની પ્રક્રિયા ફકત 15 થી 20 મિનિટમાં જ પૂર્ણ થઈ જાય એટલી સરળ છે. જેનાથી દાતાના ચહેરા ઉપર કોઈ વિકૃતિ કે વિરૂપતા આવતી નથી તેમજ તેના કારણે મૃતદેહની અંતિમ ક્રિયામાં કોઈ અડચણ કે વિલંબ પણ થતો નથી. નેત્રદાન સ્વીકારવા માટે ચક્ષુબેંકની ટીમ દાતા ગમે તે જગ્યાએ હોય જેમ કે ઘરમાં, હોસ્પિટલમાં, મડદાઘરમાં કે સ્મશાનમાં જઈને નેત્રનું દાન લઈ આવે છે. તે માટે દાતાના શરીરને ચક્ષુબેંક કે હોસ્પિટલ સુધી લાવવાની જરૂર પડતી નથી. આ માટે નેત્રદાતાના વારસદારને કોઈ ખર્ચ થતો નથી. તમામ જરૂરી ખર્ચ ચક્ષુબેંક ભોગવે છે. દાતાના મૃત્યુ બાદ લગભગ 6 કલાકની અંદર નેત્રદાન થવું જરૂરી છે. આપણા ભારત દેશમાં સેંકડોની સંખ્યામાં લોકો અંધાપાથી પીડાય છે, જેમાં યુવાનો અને બાળકોની સંખ્યા વધુ છે.

ભારતમાં જરૂરિયાતના પ્રમાણમાં ચક્ષુદાનનું પ્રમાણ ઘણું ઓછું છે. કીકીના પ્રત્યારોપણ માટે ચક્ષુદાન દ્વારા મળતી આંખ-કોર્નિયા ઉપર જ આધાર રાખવો પડે છે અને તો જ કીકીનું પ્રત્યારોપણ શક્ય બને છે. ચક્ષુદાનમાં મળતા ચક્ષુમાંથી સરેરાશ 50 ટકા યક્ષુ જ પ્રત્યારોપણ માટે ઉપયોગી હોય છે.

કોઈ પણ ઉંમરની વ્યક્તિ નેત્રદાન કરી શકે છે. વ્યકિત યશ્માં પહેરતી હોય કે મોતિયો ઉતરાવેલ હોય કે તેને ડાયાબિટીસ હોય કે બ્લડપ્રેશરથી પીડાતી હોય તો પણ તે ચક્ષુદાન કરી શકે છે. કોઈ પણ બ્લડગ્રૂપ ધરાવતી કે ગમે તે ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ કે જાતિની વ્યક્તિ નેત્રદાન કરી શકે છે. નેત્રદાન કર્યા બાદ એ નેત્ર આપનાર અને મેળવનારની ઓળખ ખાનગી રાખવામાં આવે છે. અમુક સંજોગોમાં જેમ કે મૃત્યુનું કારણ ઝેરી કમળો, એઇડ્સ, કેન્સર કે અન્ય ચેપી રોગો હોય તો એવા સંજોગોમાં નેત્રદાનમાં આવેલી આંખોનો ઉપયોગ સંશોધન કાર્ય માટે કરવામાં આવે છે. (કીકીના પ્રત્યારોપણ માટે આવા ચક્ષુ ઉપયોગમાં આવતા નથી.)

ચક્ષુબેંક સતત 24 કલાક કાર્યરત રહેતી સામાજિક સંસ્થા છે. તેનું કાર્ય મૃત્યુ બાદ દાનમાં મળતા ચક્ષુ મેળવવા, તેની વૈજ્ઞાનિક પદ્ધતિથી ચકાસણી તેમજ યોગ્ય જાળવણી કરવાનું તથા આ ચક્ષુ (કીકી) નિષ્ણાત તબીબો સુધી પ્રત્યારોપણ માટે પહોંચાડવાનું છે. આ ચક્ષુનો લાભચક્ષુબેંકમાં નોંધાયેલ દર્દીઓ લઈ શકે છે.

ચક્ષુદાનમાં મળેલ યક્ષુની કાળજીપૂર્વક જાળવણી ખૂબ જ જરૂરી છે. આ ચક્ષુઓની જાળવણી માટે ખાસ પ્રકારના પ્રવાહી ઉપલબ્ધ છે. જેમાં આપણે ચક્ષુ અથવા કીકીને લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ. આ માટે અત્યાર સુધી આપણે અમેરિકા જેવા દેશો ઉપર આધાર રાખવો પડતો હતો અને તેની અવેજીમાં મળેલ કીકી ફકત 12 થી 48 કલાકમાં જ પ્રત્યારોપણના ઉપયોગમાં લેવાની ફરજ પડતી હતી. પરંતુ હવે આ પ્રવાહીની ઉપલબ્ધિના કારણે કીકીને 4 દિવસ સુધી જીવંત રાખી શકાય છે. જેથી કીકીના રોગના દર્દીઓને ઓપરેશન પહેલાં જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી. તબીબી ક્ષેત્રે થયેલાં સંશોધનો અને આધુનિક શસ્ત્રક્રિયા તેમજ વિકસિત સારવાર પદ્ધતિને પરિણામે કીકી પ્રત્યારોપણનો સફળતાનો આંક 80 થી 90 ટકા સુધી પહોંચાડી શકાયો છે.