રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિન
01st October
રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિન
વિશ્વમાં આજે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. નવી નવી શોધોએ માનવીની સુખાકારીમાં આમૂલ પરિવર્તન કર્યું હોવા છતાં કોઈ પણ સંશોધન, ટૅક્નોલોજી કે અદ્યતન સાધનોથી સજ્જ પ્રયોગશાળાઓમાં પણ કૃત્રિમ લોહી બનાવવામાં માનવજાત નિષ્ફળ રહી છે. વ્યક્તિના જીવનમાં લોહીની જરૂરિયાત અને તેના મહત્ત્વના પ્રચાર-પ્રસાર તથા સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે દર વર્ષે 1 ઑક્ટોબર ના દિવસે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત આપણા દેશમાં 1975 થી થઈ હતી.
 
સ્વૈચ્છિક રક્તદાન દિનની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ રક્તદાનના મહત્ત્વ વિશે સમગ્ર દેશના લોકોમાં જાગૃતિ લાવી અને જરૂરિયાતમંદ દર્દીઓની તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવા માટે સ્વૈચ્છિક રક્તદાનનું લક્ષ્ય સફળતાપૂર્વક હાંસલ કરવાનો છે. આ ઉપરાંત તંદુરસ્ત વ્યક્તિ હોવા છતાં રક્તદાન કરવામાં રસ ન ધરાવતા લોકોને પ્રોત્સાહિત કરવા અને રક્તદાન અંગે લોકોમાં રહેલી કેટલીક ગેરમાન્યતાઓ દૂર કરવાનો પણ છે.

જે વ્યક્તિઓ રક્તદાન કરે છે અથવા રક્તદાન કરવા માંગે છે તેમના માટે કેટલીક જાણવા જેવી બાબતો નીચે પ્રમાણે છે.
 
કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ જેની ઉંમર 18 થી 60 વર્ષની હોય અને તેનું વજન 45 કિલોગ્રામથી વધુ હોય તે રક્તદાન કરી શકે છે.
એચ.આઈ.વી., હિપેટાઈટિસ-બી કે તેના જેવી અન્ય બીમારીઓ ન હોય તે વ્યક્તિ રક્તદાન કરી શકે છે.
એકવારમાં 350 મિલિગ્રામ રક્ત આપી શકાય છે. જેની પૂર્તિ શરીરમાં 24 કલાકમાં થઈ જાય છે અને ગુણવત્તાની પૂર્તિ 21 દિવસની અંદર થાય છે.
જે વ્યક્તિ નિયમિત રકતદાન કરે છે તેને હૃદય સંબંધી બિમારીઓ થવાનું ઓછું જોખમ રહે છે.
આપણા શરીરમાં લોહીની રચના એવી છે કે તેમાં સમાવિષ્ટ રેડ બ્લડ સેલ ત્રણ માસમાં સ્વયં નાશ પામે છે, માટે પ્રત્યેક સ્વસ્થ વ્યક્તિ ત્રણ મહિનામાં એકવાર રક્તદાન કરી શકે છે.

રક્ત ઘટક વ્યવસ્થાને કારણે તેમાંથી વિવિધ ઘટકો છૂટા પાડીને (જેવા કે પ્લાઝમા, પ્લેટલેટ્સ વગેરે) દર્દીની જરૂરિયાત મુજબના ઘટકવાળું લોહી ચડાવવાી તે ઝડપથી સાજો થાય છે. આ રીતે એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ-ચાર વ્યક્તિઓની જિંદગી બચાવી શકીએ છીએ. દેશના લોકો અને ખાસ તો યુવાનો, રક્ત ઉપલબ્ધતા, લોહીના ઘટકો જુદા પાડવાના એકમ, રક્તસંગ્રહ કેન્દ્રો, સરકારી-ખાનગી બ્લડ બેંક, રક્તદાતા વગેરે વિશે જાણે અને સહયોગ આપે તે જરૂરી છે. સમાજસેવી સંસ્થાઓની રક્તસેવા યોજના થકી પણ હજારો લોકોનાં જીવન બચાવી શકાય છે. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. આ કારણથી લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે. રક્તદાન ભલે આપણે બીજાની મદદ માટે કરતા હોય પણ ક્યારેક એ પોતાને પણ મદદરૂપ બની જાય છે. કારણ કે, આપણે પોતે કે આપણા કોઈ સંબંધી અકસ્માત કે બીમારીને કારણે દવાખાનામાં દાખલ થાય અને લોહી ચડાવવાની જરૂર પડે ત્યારે કોઇકનું દાન કરેલું લોહી જ આપણા કામમાં આવે છે.

એબીઓ રક્તસમૂહ પ્રણાલી (ABO blood group system)ના શોધક કાર્લ લેન્ડસ્ટેનર નો જન્મદિવસ (14મી જૂન, 1868) હોવાથી તેમની યાદમાં 14મી જૂનને વિશ્વ રક્તદાન દિન તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવે છે.