હનુમાનજી જન્મોત્સવ
02nd April
રામાયણનાં વિવિધ પાત્રોમાં શ્રીરામ અને સીતામાતા જેટલું જ લોકપ્રિય પાત્ર હોય તો તે છે હનુમાનજી. તેમને જિતેન્દ્રિય બુદ્ધિમાનોમાં વરિષ્ઠ, પવનપુત્ર જેવાં વિશેષણોથી પણ નવાજવામાં આવ્યા છે. તેઓ આબાલવૃદ્ધ સૌને સમાન રીતે આકર્ષે છે.
ચિત્ર માસની પૂર્ણિમાનો દિવસ એ તેમના જન્મોત્સવનો દિવસ ગણવામાં આવે છે. ભાવિક ભક્તો આ દિવસે હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે સાથે તેમના પરાક્રમોનું સંકીર્તન કરી પ્રેરણા મેળવે છે.
હનુમાનજીના જન્મની કથા રોચક છે. દશરથ રાજાએ પુત્રપ્રાપ્તિ માટે કરેલા યજ્ઞમાંથી પ્રસાદી સ્વરૂપે મળેલ થોડી ખીર પવનના કારણે અંજનીમાતાને મળી. આ પ્રસાદ આરોગવાને કારણે હનુમાનજીનો જન્મ થયો.
બાળવયે સૂર્યને મધુર ફળ સમજી તેનું ભક્ષણ કરવાનો પ્રયત્ન કર્યો. આ કથાઓ માત્ર મનોરંજન માટે નથી પણ હનુમાનજીની પ્રચંડ શક્તિની દ્યોતક છે. સુગ્રીવના સચિવ તરીકેની તેમની ભૂમિકામાં ઉત્તમ સંચાલક હોવાનો ખ્યાલ મળે છે. શ્રીરામનું કામ તેમના માટે જીવનનું મૂળ ધ્યેય હતું.
સીતામાતાની શોધ માટે સમુદ્રને ઓળંગી જવો, અશોકવાટિકાનું નિકંદન, લકાદહન ઉપરાંત રાવણ સાથેના યુદ્ધમાં તેમની અદ્વિતીય શક્તિ આ બધી જાણીતી હકીકતો છે. લક્ષ્મણની મૂર્છા દૂર કરવા આખો પર્વત ઉપાડી લાવવો એ અનુપમ પરાક્રમ છે.
આ વિવિધ કથાઓમાં તેમની પ્રચંડ શક્તિ, પ્રખર બુદ્ધિમતા, કાર્યદક્ષતા. લંકામાં પણ વિભિષણને ઓળખવા તે વ્યક્તિને પારખવાની ક્ષમતા. હંમેશાં સત્યને પડખે રહેવાની નિષ્ઠા, વિનમ્રતા, સેવક તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરવી આમ એક-એક બાબત તેમના માટે પૂજ્યભાવ ઉત્પન્ન કરે છે.
શ્રીરામના વનવાસ દરમિયાન સંપર્કમાં આવ્યા પછી પોતાનું જીવન તેમના ચરણોમાં સમર્પિત કર્યું અને કાયમ તેમની સાથે રહ્યા. આમ છતાં ક્યારેય શ્રીરામ પાસેથી કશું જ મેળવવાની અપેક્ષા ન રાખી તેમના જીવનની આ ઓળખે તેમને એટલા પૂજ્ય સ્થાને મૂક્યા છે કે ભાગ્યે જ કોઈ દેવતાનું મંદિર કે તીર્થ એવું જોવા મળશે. કે જ્યાં રામભક્ત હનુમાનજી'ની મૂર્તિ ન હોય. સાત ચિરંજીવીઓમાં સ્થાન પામનાર હનુમાનજી આજે પણ વિદ્યમાન છે એમ માનવામાં આવે છે.
આપણા લાડીલા કવિ કાગે યોગ્ય રીતે ગાયું છે કે, "જગતમાં એક જ જન્મ્યો કે જેણે રામને ઋણી રાખ્યા."