દશેરા (વિજયાદશમી)
02nd October

દશેરા ભારતમાં ઉજવાતો હિંદુ તહેવાર છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમ ને દિવસે આવે છે.

દશેરાના તહેવારને અનિષ્ટ પર ઈષ્ટની જીતના પ્રતીકના રૂપમાં મનાવવામાં આવે છે. કોઈ મનુષ્ય પૂર્ણ હોતો નથી. તેનામાં કોઈને કોઈ અવગુણ હોય જ છે. જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અસત્ય, ઈર્ષ્યા, આળસ વગેરે. કોઈ પણ આંતરિક દૃષ્ટતાને દૂર કરવી એ પણ સ્વ-વિજય છે. આપણે આવા દુર્ગુણો ત્યજીને તેના પર વિજય મેળવીને દર વર્ષે વિજયાદશમી ઉજવવી જોઈએ. દશેરા એ ભક્તિ અને શક્તિનો સમન્વય સમજાવતો મહોત્સવ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન વિજયપ્રાપ્તિ માટે માં જગદંબા ની આરાધના-ઉપાસના કરવામાં આવે છે. તેથી જ સદીઓથી દશેરાનો ઉત્સવ ‘વિજય પ્રસ્થાનનો મહોત્સવ' ગણાય છે. આ શુભપર્વને વિજયમુહૂર્ત ગણવામાં આવે છે. રાજા-મહારાજાઓ આ દિવસે યુદ્ધ માટે વિજય પ્રસ્થાન કરતા ત્યારે દશેરાની આ કૂચ યાદગાર બની જતી.

દશેરાના પર્વનું માહાત્મ્ય વર્ણવતી અનેક કથાઓ- માન્યતાઓ પ્રચલિત છે. ભગવાન રામે આ દિવસે લંકાપતિ રાવણ નો વધ કર્યો હતો એમ મનાય છે. ભગવતી દુર્ગામાતા એ આ દિવસે મહિષાસુર નામના દાનવનો વધ કર્યો હતો. છત્રપતિ શિવાજી પણ ઔરંગઝેબ ને પરાજિત કરવા આજ દિવસે પ્રસ્થાન કરી હિંદુ ધર્મનું રક્ષણ કર્યું હતું. ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે, શૌર્યની ઉપાસક છે.

દશેરાનો તહેવાર વૈવિધ્યપૂર્ણ રીતે ઉજવાય છે. આ દિવસે ઠેકઠેકાણે હજારોની મેદની વચ્ચે રાવણ ના વિરાટ પૂતળાના દહનનો કાર્યક્રમ આતશબાજી સાથે ઉજવાય છે. ઉત્તર ભારત માં ઠેરઠેર ‘રામલીલા’ ભજવાય છે. ક્ષત્રિયો, રાજપૂતો અને સૈનિકો દશેરા ના દિવસે પોતપોતાના શસ્ત્રોની પૂજા કરે છે. શહેરોમાં ફાફડા-જલેબી ખાવાની એક ફેશન/પરંપરા હમણાંથી શરૂ થઈ છે એ પણ નોંધવા જેવું તો ખરું જ.
 
પૂ. પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે, “દશેરાનો દિવસ એટલે બાહ્ય શત્રુની સાથે અંદર બેઠેલા ષડરિપુ ઉપર વિજય મેળવવા કૃતનિશ્ચયી બનવાનો દિવસ. દશેરા એટલે વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર અને પરાક્રમની પૂજા.”

સ્વાતંત્ર્ય પૂર્વે દેશી રજવાડામાં આ દિવસે હાથી- ઘોડાના શાહીઠાઠ સાથે રાજા-મહારાજાની ભવ્ય સવારી નીકળતી હતી અને ‘સીમોલ્લંઘન’ વિધિ કરવામાં આવતી હતી. આપણા ઈતિહાસમાં આવા અનેક દાખલા છે કે જયારે હિંદુ રાજાઓ આ દિવસે પ્રસ્થાન કરતા હતા.