Ahmedabad Plane Crash: 86 મૃતકોના DNA સેમ્પલ પરિજન સાથે મેચ થયા
Published on: 15th June, 2025
અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતકોની ડીએનએ મેચિંગની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 86 મૃતકોના ડીએનએ સેમ્પલ પરિવારજન સાથે મેચ થયા છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહો પરિવારના લોકોને સોંપવામાં પણ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 24 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. જેમાં વડોદરાના 5, ઉદેપુરનો 1, મહેસાણાના 4, અમદાવાદના 8, ખેડા, બોટાદ, જોધપુર, અરવલ્લીના 1-1, આણંદના 2 મૃતદેહ સોંપવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં 24 મૃતદેહ પરિવારજનોને સોંપ્યા: રાહત કમિશનર આલોક પાંડે
તમને જણાવી દઈએ કે મૃતકોના પરિવારજનોને કોઈ હેરાનગતિ ના થાય તે માટે મૃતકનું ડેથ સર્ટિફિકેટ પણ તાત્કાલિક આપવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. રાહત કમિશનર આલોક પાંડે કહ્યું કે અત્યાર સુધીમાં 47 DNA સેમ્પલ પરિવારજન સાથે મેચ થયા છે. અત્યાર સુધીમાં 24 મૃતદેહ પરિવારજનોને સોંપ્યા છે. જેમા વડોદરાના 5, ઉદેપુરનો 1, મહેસાણાના 4, અમદાવાદના 8, ખેડા, બોટાદ, જોધપુર, અરવલ્લીના 1-1, આણંદના 2 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. આ સાથે જ 22 મૃતકોના ડેથ સર્ટી પણ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. ત્યારે એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ રજનીશ પટેલે નિવેદન આપતા કહ્યું કે 47 DNA મેચ થયા છે, આજે DNA મેચ થયા તેમાં એક જ બોડીના 3 પાર્ટ સામેલ છે એટલે 44 બોડી થઈ પણ DNA 47 મેચ થયા છે. 44 પરિવારને સંપર્ક કરી દેવાયો છે, જેમાંથી 24 મૃતદેહ સોંપી દીધા છે.
ગુજરાતમાં આવતીકાલે રાજકીય શોકની જાહેરાત
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું છે, ત્યારે આવતીકાલે એટલે કે 16 જૂને રાજ્યભરમાં એક દિવસનો રાજકીય શોક રહેશે. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિધનથી રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે એટલે આવતીકાલે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. તમને જણાવી દઈએ કે આ પ્લેન દુર્ઘટનામાં 270થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, આ દુર્ઘટના બાદ રાજ્યભરમાં જાણે કે શોકનો માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.