વિસાવદર પેટા ચૂંટણી વચ્ચે આપમાં ભંગાણ:તાલુકા પ્રમુખ મહેન્દ્ર ડોબરીયાએ કહ્યું- કાંકરીચારો, પથ્થરમારો પાર્ટીના કહેવાથી કરાયો; ઇટાલીયા સામે ગંભીર આક્ષેપ
Published on: 15th June, 2025
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમાવો અને પક્ષાંતરના સૂર ઉગ્ર બની રહ્યા છે. હવે આમ આદમી પાર્ટીમાં જ આંતરિક વિખવાદ ખુલ્લા મંચ પર આવી પહોંચ્યા છે. પક્ષના વિસાવદર તાલુકા પ્રમુખ મહેન્દ્ર ડોબરીયાએ ખુદ પોતાના નેતા ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે, જેના કારણે સમગ્ર ચૂંટણી લડત પર સવાલો ઊભા થઈ રહ્યાં છે. મહેન્દ્ર ડોબરીયાએ જાહેરપણે દાવો કર્યો છે કે, કાંકરીચારો અને પથ્થરમારાની ઘટનાઓ ભાજપ કે કોંગ્રેસ દ્વારા નહીં પરંતુ આપના જ હુકમ અનુસાર ઘડવામાં આવી છે. ગઈકાલે પિયાવા ગામે કોંગ્રેસના ઠાકોર-કોળી સમાજની સભામાં થયેલો પથ્થરમારો પણ પાર્ટીની અંદરથી જ સંચાલિત હતો. મહેન્દ્ર ડોબરીયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટી સાથે છે, પણ ગોપાલ ઇટાલીયાની શૈલી અને કાર્યપદ્ધતિ સામે ઉગ્ર વિમતિ ધરાવે છે. તેમનું કહેવું છે કે અમે ચાર મહિનાથી ગોપાલભાઈ સાથે મેદાનમાં છીએ, ખેડૂતોના પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓ માટે સતત રજૂઆત કરતા રહેલા છીએ, છતાં તેઓ ન તો જવાબ આપે છે, ન તો ફોન ઉઠાવે છે.